પ્રેમની દેવી જેવી મધુબાલા/ નરેશ કાપડીઆ

16681486_1426796703999401_5868536690940414090_nપ્રેમની દેવી જેવી મધુબાલા

જગત જયારે વેલેન્ટાઈન ડે ઉજવતું હોય તે દિવસ જ જેમનો જન્મ દિન છે એવા મધુબાલા અગર જીવતા હોત તો ૮૩ વર્ષના થાત. વિધિની વક્રતા તો એ હતી કે આ પ્રતિભાશાળી અને અત્યંત ખુબસુરત અભિનેત્રી માત્ર ૩૬ વર્ષની યુવા વયે લાંબી માંદગી ભોગવીને આ જગત છોડી ગયાં હતાં. ‘ધ વિનસ ઓફ ઇન્ડિયન સિનેમા’ કે ‘ધ બ્યુટી વિથ ટ્રેજેડી’ જેવા શબ્દપ્રયોગો જેમને માટે થતાં એ મધુબાલાને પ્રેમની દેવી રૂપે જોવા જોઈએ. ૧૯૪૨થી ૧૯૬૦ દરમિયાન તેઓ અભિનેત્રી રૂપે સક્રિય રહ્યાં. નરગિસ કે મીના કુમારીની જેમ મધુબાલાને પણ દર્શકોને સૌથી વધુ પ્રભાવિત કરનાર અભિનેત્રી રૂપે યાદ કરાય છે. મધુબાલાના ચાહકોએ તેમને અમેરિકન અભિનેત્રી મેરેલીન મનરોની ભારતીય આવૃત્તિ તરીકે પણ જોઈ હતી. તેમની ‘મહલ’ (૧૯૪૯), ‘અમર’, ‘મિ. એન્ડ મીસીસ ૫૫’, ‘ચલતી કા નામ ગાડી’, ‘મુઘલ-એ-આઝમ’ કે ‘બરસાત કી રાત’ યાદગાર હતી.

મુમતાઝ જહાન દેહલવી તરીકે તેમનો જન્મ ૧૪ ફેબ્રુઆરી, ૧૯૩૩ના દિને દિલ્હીમાં થયો હતો. પશ્તુન જાતિના તેમના પિતા અતાઉલ્લાહ ખાન અને માતા આયેશા બેગમનાં ૧૧ સંતાનો પૈકી મુમતાઝ પાંચમાં સંતાન હતાં.ગરીબ અને બેકાર બાપને વિચાર આવ્યો કે તેમની ખુબસુરત બાળકી અભિનય કરી શકે છે. અને નવ વર્ષની ઉમરે તો મધુબાલા કેમેરા સામે આવી ગયાં હતાં.
મધુબાલાની પહેલી ફિલ્મ ‘બસંત’ (૧૯૪૨) પછી અનેક ફિલ્મોમાં તેઓ બાળકલાકાર રૂપે આવ્યાં. દેવિકા રાણીએ મુમતાઝ દહેલવીને ‘મધુબાલા’ જેવું મધમીઠ્ઠું નામ આપ્યું હતું. ૧૪ વર્ષની ઉમરે તો મધુબાલા કેદાર શર્મા નિર્દેશિત ‘નીલકમલ’ (૧૯૪૭)માં રાજ કપૂરની નાયિકા બન્યા હતાં. પણ બોમ્બે ટોકીઝની ‘મહલ’ પછી તો મધુબાલા સ્ટાર બની ગયાં. પછી ‘દુલારી’, ‘બેકસૂર’, ‘તારાના’ કે ‘બાદલ’ જેવી સફળ ફિલ્મો આવી.

મધુબાલાએ તમામ પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમની ‘હસ્તે આંસૂ’ (૧૯૫૦) ભારતની પહેલી ‘એડલ્ટસ ઓન્લી’ ફિલ્મ હતી. ‘કલ હમારા હૈ’માં ડબલ રોલ કર્યો. ભારત ભૂષણ સાથેની તેમની ‘ફાગુન’ અને ‘બરસાત કી રાત’, દેવ આનંદ સાથેની ‘કાલા પાની’, કિશોર કુમાર સાથેની ‘ચલતી કા નામ ગાડી’ યાદગાર રહી, જે આજે પણ કોમેડી માટે યાદ કરાય છે. એમની જ નહીં, ભારતની મહાન ફિલ્મ ‘મુઘલ-એ-આઝમ’ની અનારકલીને કોણ ભૂલી શકે? ૧૯૪૭થી ૧૯૬૪ સુધીમાં મધુબાલાએ સિત્તેર જેટલી ફિલ્મોમાં કમ કર્યું. દિલીપ કુમારે કહ્યું છે કે જો મધુબાલા લાંબુ જીવ્યા હોત અને તેમની ફિલ્મો પસંદ કરવામાં કાળજી રાખી હોત તો તેમના સમકાલીનો કરતાં ખુબ આગળ હોત.’

ત્યાર બાદ તેમની ‘ઝૂમરૂ’, ‘હાફ ટિકટ’ અને ‘શરાબી’ આવી. હવે તેમની તબિયત સાથ નહોતી આપતી. સેટ પર તેમની ગેરહાજરી વધતી ચાલી, તેમના પાત્રોમાં કાપકૂપ કરવી પડતી. પચાસના દાયકામાં ઉતરેલી તેમની ‘જલવા’ છેક ૧૯૭૧માં રજૂ થઇ અને તે મધુબાલાની આખરી ફિલ્મ બની રહી. તેમના બહેને મુલાકાતમાં કહેલું, ‘તેમના પરિવારના વિરોધને કારણે મધુબાલા જાહેરમાં દેખાતા નહોતા, પરિણમે તેમની એકાદ ઝલક જોવા લોકો તલસતા.’ તેમના અને પિતાના મિત્ર બી.કે. કરંજિયાએ લખ્યું હતું કે મધુબાલા અનેકોના પ્રેમમાં રહેતાં. જોકે તેમાં નિર્દોષતા વધુ રહેતી. દેવ આનંદ કહેતાં કે ‘મધુબાલાને ‘ફલર્ટ’ ગમતું, જે નિર્દોષ રહેતું.’ દિલીપ કુમાર સાથે મધુબાલાનો લાંબો સંબંધ રહ્યો. તેઓ લગ્ન કરવા માંગતા હતાં, પણ મધુબાલાના પિતાની ના હતી. દિલીપ કુમાર કહેતાં, ‘ભરચક સફળતા, સમૃદ્ધિ અને લોકપ્રિયતા મળવા છતાં, મધુબાલા એક આજ્ઞાંકિત દીકરી જ બની રહ્યાં.’ ૧૯૫૬માં ‘નયા દૌર’ના શૂટિંગ વખતે પિતાએ દિલીપ કુમાર સાથે મધુબાલાને મુંબઈની બહાર શૂટિંગ કરવાની પરવાનગી ન આપી. બી.આર. ચોપ્રાએ કેસ કર્યો અને દિલીપ કુમારે કોર્ટમાં ચોપ્રાની તરફેણમાં જુબાની આપી. તેમણે કોર્ટમાં મધુબાલાને ચાહતા હોવાનું પણ કહેલું. પરિણમે પિતા અને દિલીપ કુમાર વચ્ચે સમાધાનની કોઈ શક્યતા ન રહી અને એ સંબંધ તૂટીને જ રહ્યો. જોકે મધુબાલાના બહેન મધુર ભૂષણે કહેલું કે પિતાજી ઇચ્છતા હતાં કે દિલીપ કુમાર ‘સોરી’ કહે, જે દિલીપ કુમારે ન કહ્યું અને સંબંધ તૂટ્યો.

૧૯૬૦માં કિશોર કુમારે ઇસ્લામ અંગીકાર કરીને કરીમ અબ્દુલ નામ રાખી મધુબાલા સાથે નિકાહ પઢેલા. ત્યારથી જ મધુબાલા ગંભીર માંદગીમાં હતાં. કિશોર-મધુબાલા સારી જોડી નહોતી, તેઓ સુખી પણ નહોતા. એમની માંદગી વિશે જાણતા હોવા છતાં કિશોર કુમારને અન્યોની જેમ તેની ગંભીરતાનો અંદાજ નહોતો આવ્યો. અશોક કુમારે કહેલું, ‘મધુબાલાની માંદગીએ તેમનો સ્વભાવ બગાડ્યો હતો. તેઓ કિશોર કુમાર સાથે લડીને વારંવાર પિતાના ઘરે જતાં અને લાંબો સમય ત્યાં જ રહેતાં.’ મધુબાલાના બહેન કહે છે કે’ લગ્ન પછી તેઓ લંડન ગયેલાં, જ્યાં ડોક્ટરે જણાવેલું કે મધુબાલા બે વર્ષથી વધુ જીવી શકે તેમ નથી, માટે કિશોર કુમાર મધુબાલાને પિતાના ઘરે જ મુકીને કામ પર જતાં હતાં.’ જે હોય તે, લાંબી માંદગી પછી આ સૌથી સુંદર અભિનેત્રી યુવાવસ્થામાં જ ગુજરી ગયાં.

મધુબાલાના ગીતો: આયેગા આનેવાલા – મહલ, આઇયે મેહરબાન – હાવરા બ્રીજ, અચ્છાજી મૈ હારી (કાલા પાની), યે વાદા કરો – રાજહઠ, દો ઘડી વો જો પાસ આ બૈઠે – ગેટ વે ઓફ ઇન્ડિયા, સિને મેં સુલગતે હૈ અરમાન – તારાના, ઝીંદગી ભર નહીં ભૂલેંગે – બરસાત કી રાત, મૈ સિતારો કા તારાના અને હાલ કૈસા હૈ – ચલતી કા નામ ગાડી, સબ કુછ લૂટા કે હોશ મેં આયે – એક સાલ, ચાંદ સા મુખડા – ઇન્સાન જાગ ઊઠા, એક પરદેસી મેરા દિલ – ફાગૂન, ઠંડી હવા યે ચાંદની સુહાની – ઝૂમરૂ, ઠંડી હવા કાલી ઘટા – મિ. એન્ડ મીસીસ ૫૫, ગુઝરા હુઆ જમાના આતા નહીં દુબારા – શીરી ફરહાદ, મોહે પનઘટ પે નંદ લાલ અને જબ પ્યાર કિયા તો ડરના ક્યા – મુઘલ-એ-આઝમ.

ફેબ્રુઆરીના સિતારા – નરેશ કાપડીઆ

Image may contain: 1 person, closeup

2 ટિપ્પણીઓ

Filed under ઘટના, સમાચાર

2 responses to “પ્રેમની દેવી જેવી મધુબાલા/ નરેશ કાપડીઆ

  1. વેલેન્ટાઈન ડે ના દિવસે જેમનો જન્મ દિન છે એવાં સીને તારિકા મધુબાલા પ્રેમની દેવી હતાં એમાં શી નવાઈ !

  2. The film Mogule Aazam piqued interest was because of Dilip Kumar and Madhubala’s love story. The duo were engaged but called it off due to some differences. In his autobiography, the veteran was quoted saying that the director was trying to mend the situation for Madhubala when things soured between them. The iconic feather scene between the two has its own story. In his autobiography, Kumar further stated that the two were not even talking to each other while shooting that scene but worked as two professional artists. He recalled the late actress as someone who was vivacious and who could draw the star out of his shyness and reticence effortlessly.

Leave a reply to Vinod R. Patel જવાબ રદ કરો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.