Category Archives: પરેશ વ્યાસ

ડબલ વૅમી: બેવડો માર, પડ્યા પર પાટું, દાઝ્યા પર ડામ / પરેશ વ્યાસ

ડબલ વૅમી: બેવડો માર, પડ્યા પર પાટું, દાઝ્યા પર ડામ
एक बराहमन ने कहा है कि ये साल अच्छा है -मिर्ज़ा ग़ालिब
શેરનો પહેલો મિસરો છે દેખિયે પાતે હૈ ઉશ્શાક બુતોં સે ક્યા ફૈઝ. ‘ઉશ્શાક’ એટલે પ્રેમી. ‘ફૈઝ’ એટલે સફળતા. જોઈએ તો ખરા કે પ્રેમીઓને એમની પ્રેરણામૂર્તિ કે આરાધ્ય વસ્તુ પાસેથી આ વર્ષે શું પામવામાં સફળતા મળશે? એક બ્રાહ્મણે એવું કહ્યું તો છે કે આ વર્ષ સારું છે. ભવિષ્યવાણી જો કે સાચી પડે એવું ક્યાં થાય છે? આ કોરોના તો કાતિલ છે. ચેપ લાગ્યો તો શ્વાસનાં ય વાખા પડી જાય છે. ફેફસામાં કાણાં ય પડી જાય. અને છતાં આપણે કાંઇ કરતાં કાંઇ સમજતા નથી. એમ કે અમને શું થાય? અથવા કદાચ એમ કે મનમાં ઉચાટ છે અને એટલે બહાર જવું જરૂરી છે. કમાવવું પણ તોં જરૂરી છે. ઘર બેઠાં શું કમાઈ થાય? બહાર જઈએ તો કાંઇ માનસિક રાહત ય મળે. સૌથી મોટી તકલીફ એ છે કે હવે પૈસા નથી. બચત ચટ થતી જાય છે. કાલની ફિકરમાં ડીપ્રેશન આવી જાય છે. માર બધી બાજુથી છે. ગયા અઠવાડિયાનાં ‘ઈન્ડિયા ટૂડે’ના એક લેખનું શીર્ષક છે, ‘અનએમ્પ્લોયમેન્ટ, રાઇઝિંગ ફૂડ પ્રાઇસ: ડબલ વૅમી ફોર ઈંડિયાઝ પૂઅર એમિડ પેન્ડેમિક’. મહામારી વચ્ચે ભારતનાં ગરીબો માટે બેરોજગારી અને ખાધાખોરાકીની કિમતમાં વધારો બેવડો માર- એવો અર્થ થાય. ડબલ વૅમી (Double Whammy) એટલે?
હા, સમજાય છે. ડબલ વૅમી એટલે બેવડો માર. પડ્યા પર પાટું. ઘા ભેગો ઘસરકો નહીં, પણ ઘા ઉપર બીજો ઘા. છાતી ઉપર અને પીઠ ઉપર બેય બાજુથી ઘા. બેઉ બાજુએથી મુસીબત, મહેનત પડવી, કઠણાઈ, આડખીલી, અસાધ્યપણું, કડાકૂટ, ગૂંચવણ, નડતર, અટકાવ, હરકત, સંકટ. પણ આ તો શબ્દસંહિતા છે. અહીં આપણે એક શબ્દને, એક સાંપ્રત શબ્દને સમૂચો સમજવાની કોશિશ કરીએ છે. ડબલ વૅમીમાં ડબલ તો આપણે જાણીએ છે. ડબલ એટલે બેવડું. બમણું. વૅમી? અમારી પ્રિય ‘ગુજરાતી લેક્સિકોન’ ડિક્સનરી આ શબ્દનો અર્થ કરવો ભૂલી ગઈ છે. ચાલો આપણે અર્થ કરી દઈએ. વૅમી એટલે કશુંક અત્યંત અઘરું કે અણગમતું અચાનક થઈ જાય તે. વૅમી એટલે જાદૂ ટોના. કોઈએ જાણે કાંઇ કરી મૂક્યું. વૅમી એટલે એવો માર જે આપણને નિસહાય કે નબળું કરી દેય. ઠપ કરી દેય. ડબલ વૅમી એટલે એવું બે વખત થાય!
‘ડબલ વૅમી’ શબ્દ અમેરિકામાં વર્ષ ૧૯૪૦માં જન્મ્યો છે; જેનો મૂળ અર્થ થાય છે: કુદૃષ્ટિથી નુકસાન પહોંચાડવાની જાદુઈ શકિત. મંત્ર તંત્ર કરનાર કોઈ ભૂવાની કરામત. અમેરિકાની પ્રિય રમત બેઝબોલમાં કોઈ સારો ખેલાડી કોઈ મેચમાં બરાબર ન રમે તો કહે કે કોઈએ એના પર કાંઇ વૅમી કરી મૂક્યું છે. હવે આવું બેગણું થાય તો ડબલ વૅમી. કાર્ટૂનિસ્ટ અલ કેપની ‘લિટલ એબનર’ નામની એક કાર્ટૂન સ્ટ્રીપ ૧૯૫૦ ની આસપાસ લોકપ્રિય બની હતી. એમાં ડબલ વૅમી શબ્દો વારંવાર આવતા. એક આંખથી ભૂરકી નાંખે તો વૅમી અને બંને આંખે જાદૂ ટોના કરે તો ડબલ વૅમી. પછી તો આ શબ્દો મુહાવરો બની ગયા. ૧૯૯૧ માં ગ્રેટ બ્રિટનમાં ચૂંટણી ટાણે ડબલ વૅમી શબ્દ લોકપ્રિય થઈ ગયો જ્યારે ત્યાંની કન્ઝર્વેટિવ પાર્ટીએ તે વખતની શાસક લેબર પાર્ટીની ટીકા કરતું પોસ્ટર મૂક્યું: ‘લેબર્સ ડબલ વૅમી- કરવેરો વધ્યો, ભાવ વધારે વધ્યો. આહા, હવે સમજાયું. બે મુશ્કેલી એક સાથે આવે કે પછી એક આવે અને હજી કળ ય ન વળી હોય ત્યાં બીજી આવી ચઢે એ ડબલ વૅમી. પ્રિય કવિ ર. પા. યાદ આવે. જે કંઈ વીતે છે જે કંઈ વીતવાની છે ભીતિ, ઈચ્છું છું વીતી જાય અને અંત તરત હોય. ના, પણ મુશ્કેલી એમ વીતી જતી નથી. અને અંત ક્યાંય દેખાતો નથી. દૂર દૂર પણ નહીં. ડબલ વૅમી હવે ટ્રીપલ, ક્વૉડ્રુપલ કે મલ્ટિપલ વૅમી થતી જાય છે. આપણી જિંદગી સાલી મુશ્કેલીઓનું મલ્ટિપ્લેક્સ થઈ ગઈ છે. હેં ને? હવે ઓનલાઈન જોવા માટે કોઈ વેબ સીરીઝ બચી નથી. એમ જ પૈસા પણ બચ્યા નથી. બચત સફાચટ છે. ઉપરથી કોરાનાની તલવાર અહર્નિશ લટકે છે. ગાલિબ સાહેબને ફરી ટાંકું. रंज से ख़ूगर हुआ इंसाँ तो मिट जाता है रंज; मुश्किलें मुझ पर पड़ी इतनी कि आसाँ हो गयीं. ખૂગર એટલે વ્યસની. દુ:ખનું એક વાર વ્યસન પડી જાય તો પછી બધું સહેલું થઈ જાય. એટલી મુશ્કેલી મારી પર પડી કે પછી બધું સહેલું થઈ ગયું. એક વાર દુ:ખનું વ્યસન પડે કે બેડો પાર! કહે છે કે રવિવારની રજા પછી આવતો સોમવારનો માર વસમો છે. પછી આવે મંગળવાર. મંગળવાર એ ડબલ વૅમી સોમવાર છે! પણ શુક્રવાર સુધીમાં આદત પડી જાય. અને પછી એમ કે શનિ રવિની રજા હાથવેંત છે. પણ સાહેબ શનિ રવિ હવે નથી. શુક્રવાર પછી સીધો સોમવાર આવે છે. વીસમી સદી તો સારી હતી પણ એકવીસમી સદી એક વસમી સદી છે. ‘ને એમાંય વર્ષ ૨૦૨૦ ડબલ વૅમી છે. જાયે તો જાયે કહાં !
શબ્દ શેષ:
“મહિનાઓમાં ડિસેમ્બર એ શુક્રવાર છે.” -અજ્ઞાત (જોઈએ વર્ષ ૨૦૨૧માં શું થાય છે?!!)
No photo description available.
May be an illustration of text that says 'કશે પણ જાય તો સાથે લઈને જાય ચિંતાઓ, ને કમ સે કમ 'તે ખાધું બેટા?' એ જાણી જ લે એ મા. યામિની વ્યાસ Vijya Graphies'

Leave a comment

Filed under ઘટના, પરેશ વ્યાસ

કિત્તા વિરુદ્ધ સત્તા /પરેશ વ્યાસ

Image may contain: text and outdoorકિત્તા વિરુદ્ધ સત્તા
કિત્તો એટલે પહોળા જાડા કાપની કલમ. કલમની તાકાત તલવારથી ય વધારે હોય છે. કલમથી કાર્ટૂન દોરવામાં આવે છે. કાર્ટૂન એટલે ઠઠ્ઠાચિત્ર અથવા તો વ્યંગચિત્ર. કાર્ટૂન દોરે એ કાર્ટૂનિસ્ટ. કાર્ટૂનિસ્ટ માટે ત્રણ વિષય ઉપર પ્રભુત્વ હોવું જરૂરી છે. એક તો કલાત્મક કૌશલ્ય, બીજો અતિશયોક્તિ અલંકાર અને ત્રીજો ધારદાર વ્યંગ. કાર્ટૂનિસ્ટ સરકારને સવાલ પૂછે છે. સરકારનું ધ્યાન દોરે છે. ભ્રષ્ટાચાર, રાજકીય બાંધછોડ, હિંસાનાં બનાવ કે પછી અન્ય સામાજિક દૂષણો કાર્ટૂનનાં વિષય હોઇ શકે. એ નિશ્ચિંત છે કે સવાલ સરકાર સામે હોય છે. રમૂજ અને વ્યંગ કાર્ટૂનનું અભિન્ન અંગ છે. બાળાસાહેબ ઠાકરે કાર્ટૂનિસ્ટ હતા. ૧૯૬૭માં ઈંદિરા ગાંધીએ કોંગ્રેસની શાસનધૂરા સંભાળી ત્યારે નવ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. તે
સમયે આ કાર્ટૂન બાળાસાહેબે દોર્યું હતું. પણ ત્યારે સત્તા સંભાળનારાઓમાં સહનશક્તિ હતી. આજે નથી. આજે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી વિરુદ્ધ કાર્ટૂન ફોરવર્ડ કરવા બદલ નૌસેનાનાં એક નિવૃત્ત અધિકારીને શારીરિક ઇજાઓ પહોચાડવામાં આવે છે. રાજકારણમાં હવે ટીકાને સહેવાની શક્તિ નથી. વિરોધનું ફીડલું વાળી દેવું. પછી બાકી બધાને ડર લાગે કે આપણે ક્યાંક બોલ્યા તો આપણી ય પીટાઈ થશે. આવું જ ધર્મમાં પણ છે. લાગણી દૂભાઈ જવાની વાતો હિંસક હૂમલો કરાવે છે. ઇંગ્લિશ શબ્દ ‘ટોલરન્સ’નો અર્થ આપણે સહનશક્તિ એવો કરીએ છીએ. ચલાવી લેવું. નભાવી લેવું. તમને ન ગમે કે તમે એની સાથે સહમત ન હો તે છતાં કોઈ વિચાર કે કોઈ પગલાં કે પછી કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુને ચાલવી લેવી અથવા થવા દેવી અથવા સ્વીકારી લેવી. વાજબી, વાસ્તવિક અને સહિષ્ણુ સ્વીકાર એવા લોકોનો જે તમારી વિચારસરણી, તમારા ધર્મ, જાતિ કે ત્વચાનાં રંગથી અલગ છે. આખરે આપણે બધાએ સાથે રહેવાનું છે. ઘરમાં, શેરીમાં, ગામ કે શહેરમાં, પ્રાંત કે રાજ્યમાં તો સ્વીકાર જરૂરી બને છે.
સ્વીકારમાં ય એક હદ હોવી જોઈએ. અહીં સુધી ઠીક. પછી સામનો કરવો. પણ સામનો કરવા માટે અખબાર છે. સોશિયલ મીડિયા સામે સોશિયલ મીડિયા ઇસ્તેમાલ કરી શકાય. પણ હિંસા? હિંસા સર્વત્ર ત્યાજ્ય છે. હવે જેને શારીરિક ઈજા થાય છે એને તો તકલીફ થાય જ. પણ જે ડર સમાજમાં પેસી જાય છે અથવા બેસી જાય, એ ઠીક નથી. એક વાર એક ધનાઢ્ય મહિલા એનાં હૃષ્ટપુષ્ટ બાળકને સ્કૂલમાં દાખલ કરવા ગયા ત્યારે શિક્ષકને કહ્યું કે મારો છોકરો જો કોઈ તોફાન કરે તો બાજુવાળાને જોરથી લાફો મારજો એટલે એ ડરી જશે. યસ, પ્રજા હવે ડરીને ચૂપ રહે છે. માત્ર શિવસેનાની વાત નથી. કોઈ પણ રાજકીય પક્ષ હવે લોકોને ડારો દઈને પોતાનો કક્કો ખરો કરાવે છે. બોલે તેનું આવી બને. આપણે શું કરવું?
ચૂપ રહેવું. ન બોલવામાં નવ ગુણ. આપણે ગધેડા તો નથી કે જીદ કરીએ કે ‘ના, હું તો ગાઈશ!’ રાજકારણી કે ધર્મકારણી ભલે એમનાં બોર વેચવા માટે બોલે. આપણે મૂંગા મરવું. આમ પણ આપણે હંસી મજાક કરી શકીએ એમ નથી. હંસી મજાકને સહન કરી શકીએ એમ નથી. કોવિડ-૧૯એ આપણી કમર તોડી નાંખી છે. બસ બે જ વસ્તુઓ છે. એક ઉકાળો છે અને બીજો લોહીઉકાળો છે. આર્થિક સ્થિતિ બેહાલ છે. કામધંધો નથી. માનસિક સ્થિતિ તંગ છે. અને સૌથી ખરાબ એ છે કે આ બધુ ક્યારે બરાબર થઈ જશે?-એ કોઈને ખબર નથી. દરેકનો ગુસ્સો એટલે જ તો નાક ઉપર બેઠો હોય છે. માટે આપણે કોઈ રાજકીય કે ધાર્મિક વિવાદમાં ન પડવું. ચલાવી લેવું. નભાવી લેવું. ફ્રેંચ ફિલોસોફર વોલ્તેર એવું કહેતા કે “નભાવી લેવું એ માનવજાતિનાં ઉદભવની નીપજ છે. આપણે ભૂલ ભરેલાં છીએ, દોષયુક્ત છીએ. આવો, આપણે એકબીજાની બાલિશતાને એક બીજાની મૂર્ખાઈને માફ કરતાં રહીએ. કુદરતનો એ પ્રથમ નિયમ છે.” બીજો નિયમ શું છે? એ તો પૂછો કંગનાબેનને… હેં ને?
No photo description available.

Leave a comment

Filed under ઘટના, પરેશ વ્યાસ

ક્રિયા, પ્રતિક્રિયા અને અતિપ્રતિક્રિયા… /પરેશ વ્યાસ

ક્રિયા, પ્રતિક્રિયા અને અતિપ્રતિક્રિયા…
વાત સુપ્રીમ કોર્ટનાં અપમાનની છે. વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે હાર્લે ડેવિડસન મોટરસાયકલ લઈને નાગપુરમાં સરેઆમ ફરતા ચીફ જસ્ટીસની ટીકા ટ્વીટી કે આ એ જ છે જેમણે કોરાનાકાળમાં કોર્ટ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. એમણે અગાઉ પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે ‘ઈતિહાસકાર ભારતના છેલ્લા ૬ વર્ષને જોશે તો તેમને ખ્યાલ આવશે કે કઈ રીતે ઈમરજન્સી વગર દેશમાં લોકતંત્રને ખત્મ કરવામાં આવ્યું. તેમાં(ઈતિહાસકાર) સુપ્રીમ કોર્ટ, ખાસ કરીને ૪ પૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાની ભૂમિકા પર સવાલ કરશે.’ પ્રશાંત ભૂષણ સુપ્રીમ કોર્ટનાં અપમાનનાં કેસમાં દોષી જણાયા. હવે સજાની ઘડી આવી છે. સુપ્રીમ કોર્ટે માફી માંગવા મુદત આપી. પણ તેમણે માફી માંગવાની ઘસીને ના પાડી દીધી. પ્રશાંત ભૂષણની મનોસ્થિતિ પ્રિય કવિ ર.પા.નાં શબ્દોમાં કહું તો ‘સજા કબૂલ,મને આ નગર કબૂલ નથી; હવે આ કેદ, આ ખુલ્લી કબર કબૂલ નથી.’ ન્યાયતંત્ર સાથે સંકળાયેલી અનેક નામી હસ્તીઓએ સુપ્રીમ કોર્ટને આ બાબતે પુન: વિચાર કરવા વિનંતી કરી છે. પૂર્વ સોલિસિટર જનરલ સોલી સોરાબજીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ ઓવર-રીએક્ટ કરે છે. શું છે આ ઓવર-રીએક્શન?
ગુજરાતી લેક્સિકોન અનુસાર ‘ઓવર-રીએક્ટ’ એટલે વાજબી ગણાય તે કરતાં વધુ આવેશયુક્ત પ્રતિક્રિયા કરવી તે. આમ તો જ્ઞાની લોકો એવું કહે છે કે પ્રતિક્રિયા જ ટાળવી જોઈએ ત્યારે અતિ-પ્રતિક્રિયા તો સર્વત્ર ત્યાજ્ય છે. હેં ને? ઇંગ્લિશમાં કહે છે કે ‘એક્ટ, ડૂ નોટ રીએક્ટ’. પણ ન્યાયતંત્રમાં તો ક્રિયા સાથે પ્રતિક્રિયા વણાયેલી હોય છે. એટલે રીએક્શન આમ સાવ નકામું છે, એવું કહેવું વાજબી નથી પણ જે-તે રીએક્શન વાજબી હોય, એ જરૂરી છે. આપણે આપણી વાત કરીએ. આપણે રહ્યા અન-સુપ્રીમ માણસો. આપણે અતિ-પ્રતિક્રિયા શી રીતે ટાળી શકીએ? આમ તો આપણે કાયમ ઓવર-રીએક્ટ કરતા હોતા નથી પણ ક્યારેક કોઈ મગજની પત્તર ફાડે તો કમાન છટકે. બસ, આ જ વિચારી લેવું કે એવા કયા કયા ટ્રીગર પોઈંટ છે જેનાથી આપણી છટકે છે? ગમતી વ્યક્તિ દૂર જાય ત્યારે એવું થાય? તમે બોલો પણ કોઈ સાંભળે જ નહીં ત્યારે? બધા જ લોકો તમને કાયમ જજ જ કર્યા કરે ત્યારે? હું કોઈને કેમ ગમતો/તી નથી એવો વિચાર સતત આવે ત્યારે? જો મને ખબર પડી જાય કે કે મારો ટ્રીગર પોઈંટ શું છે? –તો હું મારું ઓવર-રીએક્શન કંટ્રોલ કરી શકું. અને એમ કરવા માટે થોડી સામાન્ય વાતો મદદરૂપ થઈ શકે. જેમ કે રીએક્શન આપતા પહેલાં ઊંડા ઊંડા શ્વાસ લેવા. મન શાંત થાય તો સારું. ક્યારેક સામાન્ય શારીરિક સ્થિતિ જેમ કે પેટમાં દુ:ખવું કે ડોક રહી જવી પણ મગજને વધારે પડતી પ્રતિક્રિયા આપવા મજબૂર કરે છે. માટે પેટ દુ:ખે ત્યારે માથું ન કૂટવું હિતાવહ છે. અને હા, સાત આઠ કલાકની ઊંઘ જરૂરી છે. શ્વાન જેવી નીંદર સારી નહીં. ઊંઘ મળી જાય તો ઓવર-રીએક્શન ન થાય. મગજને તાલીમ આપો. ફરી ફરી તાલીમ આપો. અતિપ્રતિક્રિયા ટાળવા માટે મગજનું નિરંતર શિક્ષણ જરૂરી છે. પોઝિટિવ બનો, પોઝિટિવ વાત કરો એવું કાયમ બધા કેહ કેહ કરે છે. આમ બધે હા એ હા ન કર્યા કરીએ તો પણ હકારાત્મક તાસીર માણસને આવેશયુક્ત પ્રતિક્રિયા ટાળવામાં મદદ કરે છે. શક્ય છે કે અત્યારની ભાવુક કે આવેશયુક્ત પ્રતિક્રિયાઓ આપણાં ભૂતકાળ સાથે જોડાયેલી હોય. માટે…શક્ય હોય તો ભૂતકાળ ગમે તેવો ભવ્ય હોય તો ય એની મુલાકાત લેવી નહીં. અને લો તો ત્યાંથી કોઈ સામાન લઈને પાછું વર્તમાનમાં તો આવવું જ નહીં. હેં ને?
ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ યાદ છે? આઘાત અને પ્રત્યાઘાત સામસામા અને સરખા હોય છે. પણ માણસની મતિનો ત્રીજો નિયમ છે: આઘાત અને પ્રત્યાઘાત સામસામા અને સરખા હોય… ઐસા જરૂરી નહીં હૈ! કારણ કે હવે સોશિયલ મીડિયા છે. અને સોશિયલ મીડિયા જેવું ઘોરખોદિયું બીજું કોઈ નથી. ઘોરખોદિયું એટલે? ગુજરાતી લેક્સિકોન અનુસાર ઘોરખોદિયું એટલે ખાડામાં કે કબરમાં દાટેલાંને જમીન ખોતરી ખાઈ જનારું એક જંગલી પ્રાણી. લો બોલો! પ્રશાંત ભૂષણને માલમ થાય કે ટ્વીટવાનું રહેવા દો. અને સુપ્રીમ કોર્ટને માલમ થાય કે ટીકા પર પ્રતિક્રિયા ટાળો. અને અમને શાંતિથી જીવવા દો ને ભૈસાબ!
Image may contain: 2 people, people standing

Leave a comment

Filed under પરેશ વ્યાસ

નિયતિ કે ગતિ?યામિની+હમસે ભૂલ હો ગઈ, ./પરેશ વ્યાસ

મારા કાવ્યની સુંદર રજૂઆત અભિનેત્રી ધ્વનિ ત્રિવેદીએ કરી છે.
નિયતિ કે ગતિ?
પપ્પા
તમારી ડાળ પર
તમને ગમતું જે ફૂલ છે
એકચુઅલી પતંગિયું છે.
એ ઉડી જવાનું છે,
એની ખબર
તમે તમારી જાતને
જાણી જોઈને
પડવા દીધી નહોતી.!
જો કે મને એની ખબર હતી
પણ
આટલું જલદી
ઉડી જવું પડશે
એની ખબર નહોતી..
હવે તમને
છોડીને જાઉં છું પપ્પા..
પરણેલી દીકરી
શ્વસુરગૃહે જ સોહે
નિયતિ છે કે ગતિ?
ડૂમો ભરાયો છે તમારી આંખોમાં..
જાણું છું
હું જાઉં પછી એ આંખો ડૂસકે ચઢશે.
સમજુ છું પપ્પા
કાલિદાસે લખ્યું જ હતું ને
કે
એક ઋષિ મહર્ષિ પિતાને પુત્રીવિદાયનું
આટલું દુઃખ છે તો
માનવ-પિતાનું શું ગજું?
પણ તમે મહર્ષિથી કમ થોડા છો?
પપ્પા જુઓ
દવાથી લઈ દેવસેવા
સુધીની બધી જરૂરિયાતો
માટેના કોન્ટેકટ નંબર સહિતનાં
દસ લીસ્ટ તમારી નજર પડે
એ રીતે મૂક્યા છે
અને
મારો નંબર અને હું તો
ઘરમાં ઠેર ઠેર મળી જઈશું.
પપ્પા પ્લીઝ તમારી કાળજી
રાખજો મારે માટે..
મેં રોપેલી મધુમાલતીની વેલી સુકાય
નહીં જાય,એ કામ મારી ફ્રેન્ડને સોંપી દીધું છે.
મારા ટોમીને રમાડજો, જોકે એ જ તમને સાચવશે.
પણ પ્લીઝ હમણા વાડામાં બાંધી દેજો
નહિ તો મારો છેડો ખેંચી રોકી લેશે.
કોઇની પત્ની બનવાથી કોઇની દીકરી
થોડી મટી જવાય છે !!
એક ક્ષણ તો થાય છે કે અહીં જ થોભી જાઉં
પણ આંખો લૂછવી જ નથી
ઉભરાવવા દો..
છેલ્લે આખા ઘરને ભીનું જોવું છે
જતાં જતાં હું આંગણાનાં
મનીપ્લાન્ટને ચોરી જાઉં છું
ત્યાં રોપીશ, જોઈએ
કોણ પહેલું સેટ થાય છે?
હું કે એ?
અમને બન્નેને જોવા કદી આવશોને પપ્પા?
ને
જુઓ મારી આંગળીઓ..
સહેલીઓ એ દસ દસ વીંટીઓથી સજાવી છે,
બધી જ
તમારા જમાઈ રાજે ભેટ આપી છે.
એટલે દુષ્યંતની માફક એ મને ભૂલી જાય તો…
તો એક પછી એક…!
આમ તો હું આખા ભારતને
જન્મ આપી શકું એમ છું,
ને કોઈ દુર્વાસા મુનિનો શ્રાપ પણ નથી
છતાં
પતિ પત્નીને કેટલું ઓળખી શકે?
એક પિતા દીકરીને ઓળખી શકે એટલું કે
એથી વધારે?
પપ્પા, સમય રૂપી માછલી બધી જ મુદ્રિકા
એક પછી એક ગળી જશે કે પછી…?
યામિની વ્યાસ
રજૂઆત: ધ્વનિ ત્રિવેદી
********************************

It was fake news got viral on our independence day that the British Prime Minister tendered an apology to India for what happened during British rule. The article is about the art of apology with michchhami dukkadam.

હમસે ભૂલ હો ગઈ, હમકા માફી દઈ દો…
આવું બ્રિટનનાં વડાપ્રધાન બોરીસભૈ જોહ્ન્સનભૈ બોલ્યાં. ભારતની આઝાદી પર્વનાં દિવસે એમણે ટ્વીટ્યું કે ૭૪ વર્ષ પહેલાં બ્રિટને ભારત સાથે જે કર્યું એ બદલ ભારતીયોની હું માફી (અપૉલજિ) માંગુ છું. એ વાત જુદી છે કે આવું એમણે કહ્યું જ નહોતું અને આ આખી વાત કોઈ સળીબાજે, એમનાં નામે, કોઈ ભૂતિયાં ટ્વીટર એકાઉન્ટ પરથી વહેતી કરી હતી. પણ બિચારાં ભારતીયો…. કામચલાઉ રીતે
રાજીનાં રેડ થઈ ગયા. સોશિયલ મીડીયા પર એટલાં ફેઈક ન્યૂઝ ફરે છે કે લાગે છે કે બધું જ ફેઈક છે. પણ મેરે પ્યારે મિત્રોન્ , કોઈ આપણી માફી માંગે તો આપણને ગમે છે શા માટે? આપણો અહં સંતોષાય એ તો આપણને ગમે જ ને? હેં ને?!
કોઈ માફી એટલે માંગે છે કે કારણ કે તે સ્વીકારે છે કે મને નુકસાન -થયું, થઈ રહ્યું છે કે થશે- એવી વૃત્તિ અને પ્રવૃત્તિ માટે તે જવાબદાર છે. તે એ પણ સ્વીકારે છે કે હવે પછી એ કાળજી લેશે કે હવે આવું નહીં થાય. આ ભારે અગત્યનું છે. માફી માંગવી અને પછી નુકસાન કર્યે જ જવું, એનો શો અર્થ? આમ તો રીગ્રેટ (ખેદ કે દિલગીરી) અને રીમોર્સ (પશ્ચાતાપ કે પરિતાપ)નો અર્થ એક જેવો જ થાય છે પણ રીગ્રેટ એ છે કે જેમાં માફી એવા ગુનાની છે જે અજાણતામાં અથવા સંજોગવશાત થઈ ગયો હતો. રીમોર્સ જાણતામાં કરેલા ગુનાની માફી માંગવી તે છે. જ્યારે કોઈ જાહેર ગુનાની માફી માંગવાની ફરજ પડે તો ઘણાં ધુરંધરો એવો ચાલાક માફીપત્ર લખે કે જેમાં ખરેખર માફી માંગી હોય એવું લાગે જ નહીં. ઇંગ્લિશમાં આ માટે એક સરસ શબ્દ છે: ‘નોન-અપૉલજિ અપૉલજિ’. એક શરતી માફી પણ હોય છે. આ તે કેવી માફી? જો તમે આમ કરો તો હું તમારી માફી માંગુ. આ તો ભાવતાલ થયો. આ માફી નથી. એક ‘પ્રોફોર્મા અપૉલજિ’ પણ હોય છે. શબ્દો નક્કી જ હોય તમારે બસ નીચે સહી કરવાની. અમે માનીએ છીએ કે માફી માંગવા કોઈને મજબૂર કરવામાં આવે અથવા કોઈ મજબૂરીથી માફી માંગે તો એ માફી નથી. અને હા, માફી માંગનાર એમ લખે કે ‘હું માફી માંગુ છું’-તો એ સાચી માફી. ‘લોકોને એવું લાગ્યું એટલે હું માફી માંગુ છું’- એ માફી નથી.
માફી માંગવી એ સારી વાત છે. આપણે રાજા વિક્રમાદિત્ય તો છીએ નહીં. વેતાળને માથે મૂકીને આપણે આપણાં ભૂતકાળને વાગોળતાં વાગોળતાં કયાં સુધી ચાલ્યા કરીશું? સંબંધને જાળવવો હોય, એને ટકાવવો હોય તો માફી તો માંગતા જ રહેવું પડે. સફળ લગ્ન જીવનમાં તો આમ કરવું જ પડે. પતિ માટે ‘આઈ લવ યૂ’ અને ‘યૂ આર બ્યુટીફૂલ’ પછી જો ત્રીજો મંત્રોચ્ચાર હોય તો એ છે: ‘પ્લીઝ ફરગિવ મી’. પત્ની માટે? ‘મારી ભૂલ માટે તમને માફ કરું છું, જાવ..!’ સિદ્ધહસ્ત કવિ શ્રી હેમેન શાહ ભલે કહે કે ‘દાવા-દલીલ-માફી-ખુલાસાનું કામ શું ? પ્રેમી છીએ અમે ને પરસ્પરની વાત છે’. આવી વાત ગઝલમાં સારી લાગે. સહજીવન તો પઝલ છે, એમાં માફી (માંગવી અને દેવી) અનિવાર્ય છે.
એવોર્ડ વિનિંગ ઓથર, સ્પીકર અને સીઈઓ કેવિન હેન્કોક કહે છે કે ‘માફી એ ભૂતકાળ માટે નથી, ભવિષ્યકાળ માટે છે.’ એ યાદ રહે કે જિંદગી આગળ ચાલે છે, પાછળ જતી નથી. ઈતિ.
Image may contain: 1 person, suit and closeup

Leave a comment

Filed under પરેશ વ્યાસ

સ્વીકાર્યતા આમ તો સારી પણ ….પરેશ વ્યાસ

સ્વીકાર્યતા આમ તો સારી પણ ….
અભિપ્રાય પ્રાય: સરખા નથી હોતા. એકનાં અનેક વિષે. અનેકનાં એક વિષે. આપણે એકેમેકથી અલગ છીએ. ઓશો કહેતા કે કોઈ ઊંચા નથી, કોઈ નીચા નથી પણ કોઈ સરખા ય નથી. સૌ કોઈ પોતે અજોડ છે. માણસની જોડ સખી નહીં જડે રે લોલ!
જગતકાજી દેશ અમેરિકામાં ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યા છે. એક તરફ રીપબ્લિક્ન પાર્ટીનાં ડોનાલ્ડ ટ્રમ્પ પુન: દાવેદાર છે. પ્રેસિડન્ટની ચૂંટણીમાં એમને ચૂનૌતી આપી રહ્યા છે ડેમોક્રેટિક પક્ષનાં જો બિડેન. જો કે આપણાં વિદેશ મંત્રી એસ. જયશંકરને જ્યારે કોઈએ પૂછ્યું કે આ પૈકી ભારત માટે બહેતર કોણ? તો મંત્રીશ્રીએ કહ્યું કે ભારતને કોઈ ફરક પડતો નથી. ભારતનાં ફૂટપ્રિંટ (પાદચિહ્ન) વિશાળ છે. ભારતની અક્સેપ્ટિબિલિટી (સ્વીકાર્યતા) પણ વિસ્તીર્ણ છે. બંને ઉમેદવારોની નીતિ, રીતિ, મતિ અને ગતિ સાવ ઉત્તર દક્ષિણ ભલે હોય પણ ભારતનું નામ આવે એટલે બંને ઉમેદવારો બે દેશનાં આપસી સંબંધને એક નવી ઊંચાઈએ લઈ જવા અનુબદ્ધ છે. અમને થયું કે આ સ્વીકાર્યતા એટલે?
ગુજરાતી લેક્સિકોન અનુસાર અક્સેપ્ટિબિલિટી એટલે સ્વીકારવા યોગ્યતા, સ્વાગતાર્હ, પસંદગી યોગ્યતા, ચાલે તેવું હોવાપણું. કોઈ કોઈને સ્વીકાર્ય ક્યારે હોઈ શકે? અમે વિચાર્યું તો અમને લાગ્યું કે આપણે તો મૂળથી સારા માણસ છઈએ. આપણે છીએ ડાહ્યાંડમરાં, ભલાભોળાં, લોકશાહીને વરેલા. આપણે ધર્મ નિરપેક્ષ. આપણે જાતિ, જ્ઞાતિ કે પ્રાંત નિર…. (બસ હં.. હવે બઉ થયું!) કોઈ એક ગાલે તમાચો મારે તો આપણે બીજો ગાલ ધરનારા છીએ. પણ કોઈ એથી ય આગળ મેથી મારે તો એની ચટણી ય કરી નાંખનારા આપણે છીએ. આપણી સ્વીકાર્યતા એટલે પણ ખરી કે અમેરિકામાં ૧૨ લાખ ભારતીય મૂળનાં મતદારો છે. ચૂંટણીમાં હારજીત પાતળી હોય ત્યારે ભારતને રાજી રાખવું જરૂરી છે. અને ભારત એક મોટું બજાર પણ તો છે. આપણી સાથે વ્યાપારિક સંબંધો અમેરિકા માટે પણ હિતકારી છે. સ્વીકાર્યતા આમ તો માપતોલની બાબત છે. જ્યારે આપણે ભાવતાલ કરીએ ત્યારે આપણી એક મર્યાદા બાંધી દઈએ. અહીં સુધી બરાબર. એનાથી ઓછું અમને ન ખપે. થોડું તમે જતું કરો, થોડું અમે જતું કરીએ અને જે બચે તે સ્વીકાર્ય બને. બંને માટે. સ્વીકારમાં આવકાર છે. તિરસ્કાર નથી. સ્વીકાર નિરાકાર પણ નથી. તમે એ જોઈ શકો. તમે એ ફીલિંગને અનુભવી શકો. સ્વીકારમાં -યે દોસ્તી હમ નહીં છોડેંગે-નો ભાવ છે. સ્વીકાર્યતા હોય તે સંબંધ શ્રેષ્ઠ અથવા તો આદર્શ જ હોય એવું જરૂરી નથી. અહીં બધો જ ફાયદો મને જ થાય, એવું નથી. બેઉ હાથમાં લાડવો અહીં હોતો નથી. એક હાથ દે, એક હાથ લે- જેવી સ્થિતિ સૌનો સાથ સૌનો વિકાસ સાધવામાં મદદ કરે છે.
સ્વીકાર્યતાનો એક શબ્દકોશી અર્થ છે: ચાલે તેવું હોવાપણું. ફાધર વાલેસ એવું લખી ગયા હતા કે ‘ચાલશે’ જેવો ઘાતક શબ્દ આપણાં શબ્દકોશમાં બીજો કોઈ નથી. જ્યારે માણસની સુરક્ષાની વાત આવે ત્યારે કોઈ આવી ચાલુ સ્વીકાર્યતા યથાર્થ નથી. બાંધછોડ કરીએ તો માણસોનાં જીવ પડીકે બંધાઈ જાય. અગ્નિશામક સાધનો વિના તમતમારે ટ્યુશન ક્લાસ કે હોસ્પિટલ ઠઠાર્યે જાવ તો ચાલે- એવી સ્વીકાર્યતા ઘાતક નીવડે. માસ્ક પહેર્યા વિના નીકળો, જ્યાં ત્યાં થૂંકો, જાહેરમાં ટોળટપ્પાં કરો, સોશિયલ ડિસ્ટન્સિંગની મધરનાં મેરેજ કરી નાંખો- એ સ્વીકાર્ય નથી. આરોગ્ય અને સુરક્ષાની વાતમાં કોઈ પણ નીંભરતા ‘ને નફ્ફટાઈને આપણે સ્વીકારી ન જ શકીએ. એ તો બધું એવું જ ચાલે- એવી ચૂપકીદી પણ ઘાતક છે. સ્વીકાર્યતાની એક મર્યાદા હોય, એ પછી તડાફડી થાય તો ભલે થાય. કોઈ શિશુપાળ મર્યાદા વળોટે તો સુદર્શન ચક્ર જ જોઈએ. પછી સ્વીકાર્યતાનો અવકાશ નથી. પછી તો યુદ્ધ એ જ કલ્યાણ.
પણ મર્યાદામાં રહીને સ્વીકાર્યતા વધે એવો સ્વભાવ કેળવવો સારો. ઘાયલ સાહેબે તો કહ્યું જ છે કે ‘જવાનીના પૂરા બે શ્વાસ પણ લીધા છે કયાં ‘ઘાયલ’, હજુ કંઈ ત્યાગ બાકી છે, હજુ સ્વીકાર બાકી છે.’ ત્યાગ હોય તો સ્વીકાર્યતા સહજ બને. હેં ને?
Image may contain: stripes

1 ટીકા

Filed under ઘટના, પરેશ વ્યાસ, પ્રકીર્ણ

કોવિડ-19 પ્રેરિત અવનવાં જોડ-શબ્દો /પરેશ વ્યાસ

કોવિડ-19 પ્રેરિત અવનવાં જોડ-શબ્દો

 

 


કો વિડ-૧૯ નવાં શબ્દો લઈને આવે છે. ‘સંક્રમણ’ નાં અતિક્રમણની આપણને ખબર છે. ઇંગ્લિશ શબ્દો ‘માસ્ક’ અને ‘સેનેટાઈઝર’થી આપણે પરિચિત છીએ. ‘ક્વોરેન્ટાઇન’  અને ‘કન્ટેઈનમેન્ટ ઝોન’ આપણે જાણીએ છીએ. ‘વેન્ટિલેટર’  અને ‘પીપીઈ’  એટલે શું?-એ સમજવું આસાન છે. ‘સુપર સ્પ્રેડર્સ’  કોણ હોઇ  શકે? અને  ‘કોન્ટેક્ટ-ફ્રી ડીલિવરી’  એટલે શું?- એની વ્યાખ્યા આપણને કોઠે પડી ગઈ છે.


આપણું ઘર હવે રેડ, ઓરેન્જ કે ગ્રીન ઝોનમાં હોઈ શકે છે. એક વાઇરસ કેટલાંય મહિનાઓથી આપણી બોલચાલ અને આપણાં દિમાગ પર હાવી થઈ ગયો છે. વાઇરસની પણ એક પરિભાષા છે. વાઇરસ અવનવાં શબ્દો પણ સર્જે છે. જેમ કે કોવિડિયટ .’કોવિડ’  અને ‘ઈડિયટ’ એમ બે શબ્દોનો બનેલો શબ્દ. એવો બેશરમ કે મૂર્ખ જે સામાન્ય માર્ગદર્શક નિયમોનું પાલન ન કરે. જાહેરમાં છીંકે, થૂંકે, માસ્ક પહેરે નહીં, હાથ ધૂએ નહીં. અને સામાજિક દૂરી કે શારીરિક દૂરી-કી  ઐસીતૈસી કરતો રહે, એ આપણો કોવિડિયટ. આવા જ બે શબ્દોને જોડીને બનાવાયેલાં  કોવિડ વિશેષ અન્ય રસપ્રદ પ્રોટમેન્ટુ શબ્દો પણ ઓનલાઈન માર્કેટમાં આવી ચૂક્યા છે. ચાલો, એ વિષે જાણીએ.

૧. સ્પેન્ડેમિક (Spendemic):

‘સ્પેન્ડ’  એટલે ખર્ચ કરવો. ‘પેન્ડેમિક’ આપણે હવે જાણીએ છીએ. વૈશ્વિક મહામારી કે રોગચાળો. લાકડાઉન  હતા. ઘરમાં પૂરાયા હોઈએ તો ખર્ચ શાનો? પણ સાહેબ, હવે પ્રવર્તમાન  સમયમાં ઓનલાઈન ખરીદી હદ બહાર વધી છે. જીવન જરૂરી નથી એવી ખરીદી પણ થઈ જાય છે. અત્યારે પૈસા બચાવવા જોઈએ. અથવા કોઈ શ્રમિકોને મદદરૂપ થવા વાપરવા જોઈએ. પણ ઓનલાઈન હોમડીલીવરી શરૂ થઈ એટલે ઘરે રોજ રોજ પાર્સલનાં પાર્સલ આવે. આવું કેમ?

અમે અગાઉ ‘રીટેલ થેરપી’  શબ્દ વિષે લખી ગયા છીએ. તાણ, ચિંતા કે ઉદાસીની માનસિક બીમારી હોય તો કોઈ પણ વસ્તુની છૂટક ખરીદી મનને શાંતિ આપે છે. જો કે દેવું કરીને કરી હોય એવી ખરીદીનાં હપ્તા ભરવામાં મેન્ટલ ડીપ્રેશન વકરે એવી સંભાવના છે! પણ મર્યાદામાં હોય તો કોઈ પણ ભૌતિક ખરીદી દરેક નર અને નારીને તો સવિશેષ એક ચોક્કસ પ્રકારનાં નિર્ભેળ આનંદની અનુભૂતિ કરાવે છે. સ્પેનડેમિક શબ્દ સાંપ્રત પરિસ્થિતિમાં રીટેલ થેરપીનું  ઓનલાઈન સ્વરૂપ છે. અહીં ખરીદીનો આનંદ ત્રણથી ચાર વાર થાય છે. એક વાર જ્યારે તમે ઓનલાઈન ઓર્ડર આપો. પછી પાર્સલ ક્યાં પહોંચ્યું?- એનું તમે ટ્રેકિંગ કરો ત્યારે. ત્રીજી વાર એકચ્યુઅલ ડીલીવરી થાય, કાતર લઈને તમે પાર્સલનું વિમોચન કરો અને  આ હા હા….. આહલાદક આનંદની અનુભૂતિ.. અને ચોથી વાર? તમને આઈટેમ ન ગમે અને એને વિના મૂલ્યે રીટર્ન કરી ૧૦૦ % રીફંડ મેળવો ત્યારે થાય એ આનંદ પણ સ્પેન્ડેમિકમાં આવી જાય છે.એવું કહે છે કે સ્પેન્ડેમિક ખર્ચ સાયક્યાટ્રિસ્ટ કરતાં સસ્તો પડે છે. શરતો લાગુ. 

૨. કોરોનિયલ્સ (ર્ભર્હિૈચનજ):

મૂળ શબ્દ છે મિલેનિયલ્સ. સહસ્ત્ર શતાબ્દિ વર્ષમાં યુવાન થતી આખી પેઢી. કોઈ નક્કી વ્યાખ્યા નથી પણ સામાન્ય રીતે ૧૯૮૨થી ૧૯૯૬ સુધીમાં જન્મેલાં બાળકો કે જેઓ એકવીસમી સદીમાં યુવાન બન્યા છે, એમને મિલેનિયલ્સ કહી શકાય. અત્યારે ૨૦૨૦નું વર્ષ છે. કોવિડ-૧૯નાં લાકડાઉનનાં પ્રતાપે લોકો ઘરમાં નજરકેદ રહ્યાં છે.  હજી અન-લાકડાઉનમાં પણબહાર જવા માટે સરકારીશરતો તો છે જ. ત્યારે સમય જ સમય હતો અને હજી ય છે. ઘરની અંદર રહીને કરવું ય શું? આ સામાજિક દૂરી છે, આ ક્યાં શારીરિક દૂરી છે? વસ્તી તો વધવાની જ. કોરોના કાળમાં જન્મેલાં આ બાળકો જ્યારે યુવાન થશે ત્યારે તેઓ કોરોનિયલ્સ કહેવાશે. હાથ ધોવાં, માસ્ક પહેરવાં, ઉકાળો પીવો, દૂરથી નમસ્તે કરવું અને ઓનલાઈન આર્થિક  વ્યવહારનાં સંસ્કાર તો એમને ગળથૂથીમાં મળ્યા છે. આ આખી પેઢી અત્યારે આપણાં માટે ઝઝૂમતા ફ્રંટલાઈન કોરોના વોરિયર્સ જેવાં કે ડોક્ટર, નર્સ, પોલીસકર્મી, સફાઇકર્મી, અગ્નિશમનકર્મી વગેરે માટે કુદરતી માનસન્માન ધરાવતી હશે.

૩. ક્વોરેન્ટિની (ઊેચચિહૌહૈ) :

રોગચાળો છે. દવા નથી. વાઇરસ નરી આંખે દેખાતો નથી. હાથ ધોઈને વાઇરસ ધોયાનો સંતોષ મેળવીએ છીએ. સૌ કોઈ કહે છે કે રોગપ્રતિકારક શક્તિ વધારો. વાઇરસ પ્રતિકારક ઉકાળાની વિવિધ રેસિપી ઓનલાઈન વાઇરલ થઈ છે. ક્વોરેન્ટિની શબ્દ અમેરિકન છે. જેમાં મૂળ તો વૉડકા અને જીનનું માર્ટીની કોકટેલ છે પણ સાથે વિટામિન-સીનો પાવડર પણ છે. એ નાંખો એટલે માર્ટીનીમાં નાની નાની પરપોટી ફીણફીણ થવા માંડે. ક્વોરેન્ટિની ઢીંચવાથી મનનો ઉદ્વેગ તો શાંત થાય જ અને સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ પણ વધે. આપણાં ભારતની વાત કરી તો અમને લાગે છે કે આદૂ, મરી, તુલસી, ફૂદીનો બીયરમાં નાંખીને પી શકાય તો કદાચ ક્વોરેન્ટિની જેવો જ હેતુ સરે! કવિ શ્રી અનિલ જોશીનાં ગીતકાવ્યની પંક્તિ યાદ છે? મેં તો તુલસીનું પાંદડું બીયરમાં નાખીને પીધું. જો કે ગુજરાતમાં રહેતા હો તો જીંજીયર (જીંજર +બીયર) કે બીયરુલસી (બીયર+તુલસી) પીણું પીવું ગેરકાયદેસર ગણાશે. પરમિટ કઢાવી લઈએ તો કેવું?!!

મહામારી ભયંકર છે. વાતાવરણ ગંભીર છે. એમાં શબ્દની થોડી હ્યુમરસ વાત શા માટે? સાહેબ, હ્યુમરને સહારે તો સર્વાઇવ થવાનું છે. હ્યુમર વાતાવરણને હળવું બનાવે છે. હલકું બનાવતું નથી. અને આપણે મરતા પહેલાં મરવાનું નથી. શબ્દની સંગે જિંદગી મઝાની જ રહેવાની. હેં ને? 

શબ્દશેષ:

‘શબ્દને ઉન્નત કરો, અવાજને નહીં. વરસાદથી ફૂલો ઊગે છે, નહીં કે વાદળોનાં ગડગડાટથી.’

– વિખ્યાત ચિંતક જલાલુદ્દીન રૂમી 

 


2 ટિપ્પણીઓ

Filed under ઘટના, પરેશ વ્યાસ

મન ભરીને ખાવ./ પરેશ વ્યાસ

“સવાયા ગુજરાતી” તરીકે જાણીતા ગુજરાતી સાહિત્યકાર ફાધર વાલેસ ના દુઃખદ અવસાનથી દુઃખ થયુ.
ગુજરાતી સાહિત્યને તેમણે અનેક પુસ્તકો અને લેખો દ્વારા સમૃદ્ધ કર્યું હતું, ઊગતી પેઢી માટે તેમને સતત ચિંતા અને લાગણી રહેતી. તેમનાં લખાણોમાં એક પ્રકારની વિશિષ્ટ આત્મીયતા અને સરળતા રહેવાથી એ ખપ પૂરતું ગુજરાતી જાણતા કોન્વેન્ટિયા વિદ્યાર્થીઓ પણ ફાધર વાલેસને વાંચતા થઇ ગયા હતા.
ગણિત શિક્ષક તરીકેની કારકિર્દી પૂરી કર્યા બાદ ફાધર વાલેસ મેડ્રિડ શહેરમાં વસવા ગયા. જો કે ગુજરાતી ભાષામાં લખવાનું તેમણે સતત ચાલુ રાખ્યું હતું. ભારતમાં અને લેટિન અમેરિકામાં પોતાને થયેલા અનુભવોના સંભારણાં તેમણે અંગ્રેજીમાં લખ્યાં. ત્યારબાદ અંગ્રેજી અને સ્પેનિશ ભાષાનાં પુસ્તકોનો સરળ અનુવાદ કરતા થયા. ગુજરાતી ભાષામાં તેમનાં સત્તરેક પુસ્તકો પ્રગટ થયાં જેમાંનાં કેટલાંક તો બેસ્ટ સેલર બની રહ્યા
Image may contain: 1 person, closeup, text that says 'AINEK Awards for outstanding iterary achievements'
પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ બક્ષે.
મન ભરીને ખાવ.
આપણે શું ખાઈએ છીએ એ તો અગત્યનું છે જ. પણ એ પણ એટલું જ અગત્યનું છે કે આપણે કેવી રીતે ખાઈએ છીએ. પૂર્વજો કહી ગયા છે કે ચાવી ચાવીને ખાવ. એટલે એમ કે ભગવાને બત્રીસ દાંત આપ્યા છે તો એક કોળિયો ૩૨ વખત ચાવવો જોઇએ. પણ આપણી પાસે એવો સમય જ ક્યાં છે? હવે બધું જ ઓનલાઈન છે. એટલે એમ કે આપણે મોબાઈલ ફોન/લેપટોપ/કમ્પ્યુટરનાં સ્ક્રીન ઉપર વધારે રહીએ છીએ. કંઈ કેટલી ચિંતા આપણી ચોગરદમ છે. રોજેરોજ કોવિડનો કાળો કેર ઘેરી વળે છે. પહેલા તો એવા લોકો સંક્રમિત થતા હતા અથવા તો મરી જતા હતા કે જેને આપણે અંગત રીતે ઓળખતા નહોતા. હવે આપણી જાણમાં હોય એવા લોકો, આપણા મિત્રો, આપણા સહકર્મીઓ, આપણા સગા અને વ્હાલા પૈકી એકાદ-બે જરૂર ટપકી ગયા છે. આપણો ડર ફરીથી રમણે ચડયો છે. હવે આવા વિચાર આવતા હોય, આવા સમાચાર આવતા હોય અને ત્યારે એવું પણ બને કે આપણને ભૂખ ન લાગી હોય તો પણ મનને બીજે વાળવા માટે આપણે ખાવા તરફ વળીએ. એટલે એમ કે ભૂખ નથી લાગી અને તો ય ખાવાનું ખાઈએ છીએ. જરૂરી નથી તોય ખાઈએ છીએ. ખાઈએ શું, આપણે તો ખાણું ગળી જઈએ છીએ. ચાવવાનું પછી કોઈ પ્રયોજન રહેતું નથી. ખાવાનો સ્વાદ આપણે માણતા નથી. બસ જાણે ફરજના ભાગ રૂપે ખાઈએ છીએ. પેટ ભરાય છે, કદાચ વધારે પડતું ભરાય છે પણ મન કોઇ અલગ જ દુનિયામાં હોય છે. આજે કેવી રીતે ખાવું?- એની વાત કરીએ.
૧. સ્વયંપાકી હોવું એ ખૂબ મોટી વાત છે. જેવું બને તેવું પણ જો જાતે બનાવ્યું હોય તો એ સારું જ લાગે. જો બનાવતા ન આવડતું હોય તો જે રસોઇ બનાવે છે, એને મદદરૂપ થઈ શકીએ તો સારું. તમને ચોક્કસ ખબર પડે જે પેટમાં ગયું છે એ પોષણયુક્ત છે અને શરીરની ઇમ્યુનિટી વધારશે.
૨. ઘણા લોકો સોફા પર બેઠા બેઠા કે પથારીમાં આડા પડીને ટીવી જોતા-જોતા ખાતા હોય હોય છે. જો આપણે પલાંઠી વાળીને બેસીએ અથવા તો ટેબલ ખુરશી ઉપર વ્યવસ્થિત રીતે બેસીને ખાઈએ તો ખાવાનું ખાવાના ફાયદા અનેક છે.
૩. ધીમે ધીમે ખાઈએ એટલે એમ કે મનને ખબર પડે કે કેટલું ભોજન હોજરીમાં ઠલવાયું. અકરાંતિયાની પેઠે ખાતા હોઈએ તો દિમાગને ખબર પડે તે પહેલા જ જરૂરિયાત કરતા વધારે ભોજન હોજરીમાં ઠલવાઇ ગયું હોય છે અને પછી આપણે દુઃખી થઈએ છીએ કે સાલું વધારે ખવાઈ ગયું.
૪. ખાતી વખતે પાણી ન પીવું, એવું આપણને સામાન્ય રીતે વડીલો કહેતા. પણ મને લાગે છે કે એકાદ બે ઘુંટડા પાણી પી લઈએ તો વાંધો નથી. બે કોળિયા વચ્ચે દાંતને વિરામ મળી જાય તો એ સારી વાત છે.
૫. ભૂખ લાગી હોય ત્યારે ખાવું. એટલે એમ કે ભૂખ ન લાગી હોય તો ન જ ખાવું. પણ આપણને તો ખાવાનું નીરખીને અથવા એની સોડમથી તપભંગ થઈને ખાઈ લઈએ છીએ. અથવા તો કોઈ પારકી કે પોતીકી ચિંતામાં ને ચિંતામાં વધારે ઝાપટી લઈએ છીએ.
૬. તંદુરસ્તી સભર ખાવાનું ખાઈએ પછી આપણને એનો ગર્વ હોવો જોઈએ. રાત્રે સૂતી વખતે એવું ચોક્કસ વિચારો કે આજે આપણે જે ખાધું એ સારું હતું અને આપણે આપણી ખાવાની પસંદગીથી સંતુષ્ટ છીએ.
૭. આપણું ભોજન માત્ર આપણી સ્વાદેન્દ્રિય કે ઘ્રાણેન્દ્રિય પૂરતું જ મર્યાદિત નથી આપણી બીજી ત્રણ જ્ઞાનેન્દ્રિયો એટલે કે જોવું સાંભળવું કે સ્પર્શવું પણ એટલું જ અગત્યની છે. એટલે જે પીરસાયું છે એ દેખાવમાં સારું હોવું જોઈએ. વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું હોવું જોઈએ. એમાં થોડા રંગ અલગ અલગ ગોઠવાયેલા હોય તો વધારે સારું. ભોજન સાથે થોડું હળવું સંગીત હોય તો પણ ભોજનનો આનંદ અનેકગણો થઈ જતો હોય છે.
મન ભરીને ભોજન માટે એક ઝેન જ્ઞાન એ છે કે ખાવાં ટાણે ખાવું. બીજે ડફોરિયા મારવાની મનાઈ છે. ઈતિ શ્રી મન કી ખાનપાન વાર્તા સંપન્ન!
Image may contain: 1 person, food

Leave a comment

Filed under ઘટના, પરેશ વ્યાસ

પોલેમિસિસ્ટ: સંવાદ નહીં પણ વિવાદ સર્જતો કવિ કે લેખક /પરેશ વ્યાસ

પોલેમિસિસ્ટ: સંવાદ નહીં પણ વિવાદ સર્જતો કવિ કે લેખક
नए किरदार आते जा रहे हैं
मगर नाटक पुराना चल रहा है -राहत इंदौरी
રાહત ઈંદોરીનું નિધન થયું. મુશાયરાનાં શાયર હતા તેઓ. મુશાયરો લૂંટી લેતા. શેરોશાયરી પેશ કરવાનો એમનો અંદાજ નિરાળો હતો. ગુલઝાર સાહેબે કહ્યું કે વોહ જગાકો ખાલી કરકે ચલે ગયે. ઇટ્સ નોટ અ બિગ લોસ. ઇટ્સ ટોટલ લોસ. મોટી ખોટ પડી એવું નહીં પણ અસીમ ખોટ પડી. સંપૂર્ણ ખોટ પડી. કોઈ વિખ્યાત કવિનું નિધન થાય એટલે સોશિયલ મીડિયા ઉપર વર્ચ્યુયલ શ્રદ્ધાંજલિ આપવામાં સૌ શામેલ થાય. ફૂલ નહીં ને ફૂલની પાંખડી. પણ અહીં તો ફૂલની પાંદડી સાથે કાંટા ય અર્પણ કરતો એક વર્ગ જોવા મળ્યો. તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીજીનાં ઘૂંટણની શસ્ત્રક્રિયા ઉપર એમનો શાયરાના વ્યંગ બેતૂકો છે અથવા તો ગોધરા અગ્નિકાંડ ઉપર એમની બયાની કે જે મડદાને ય દાટે છે તે જીવતાને શી રીતે જલાવે, એવા વિવાદાસ્પદ શેર ટાંકીને કે એના પઠનનાં વિડીયો અપલોડ કરીને મરહૂમ શાયર ઉપર પસ્તાળ પાડવામાં કાંઇ બાકી રાખ્યું નહીં. કોણ સાચા છે? કોના ખોટા છે?- અમે એ વિષે કશું કહેવાના નથી. અમે પેલા રાજાની ચોથી બોબડી રાણી જેવા છીએ. આપણે તો બોઈએ પણ નઈં ને ચાઈએ પણ નઈં! પણ હા, લખીએ તો ખરાં જ. એક એવા શબ્દ વિષે જે આ સ્થિતિને બયાન કરે. આજનો શબ્દ છે પોલેમિસિસ્ટ ( Polemicist).
ગુજરાતી લેક્સિકોન અનુસાર ‘પોલેમિક’ એટલે વિવાદાસ્પદ, વાદગ્રસ્ત, તકરારી વિવાદ, સામસામે દલીલ કરનાર વ્યક્તિ, વિવાદી કે વાદ કરનારું માણસ. એવું કોણ છે? સોશિયલ મીડિયા પર મંડી પડેલા ભક્તો અને બિનભક્તોને પોલેમિક કહી ન શકાય. કારણ કે પોલેમિક શબ્દ સામાન્ય રીતે એવા મોટા ગજાનાં કવિ કે લેખક માટે વપરાય છે, જે વિવાદાસ્પદ લખે છે કે બોલે છે. શેરીગલી કે સોશિયલ મીડિયામાં મંડી પડેલા સૌ કોઈ નાદાન ભક્તો કે એમની ભક્તિનો વિરોધ કરતાં નાદાન બિનભકતો(વિરક્તો?!) માટે આ શબ્દ ઉપયુક્ત નથી. અહીં વિવાદનાં કરનારનું દાના(ડહાપણભર્યા) હોવું અનિવાર્ય શરત છે.
પોલેમિક મૂળ ગ્રીક શબ્દ છે. પોલેમસ એટલે યુદ્ધ. પોલેમિકોસ એટલે યુદ્ધ જેવી સ્થિતિ, વિરોધી કે વેરી સામે પડ્યો હોય એવી સ્થિતિ. જ્યારે કોઈ બુદ્ધિજીવી વ્યક્તિ કોઈ એક વિવાદાસ્પદ વિષય ઉપર પોતાનું સ્ટેન્ડ નક્કી કરી લેય કે ભઈ, આ જ સાચું. અને પછી એની તરફેણમાં અને જે એનો વિરોધ કરે એની વિરુદ્ધમાં, લખે કે બોલે એ લખાણ કે બોલાણ(!)ને પોલેમિક્સ કહેવાય. અને એવું બોલનાર કે લખનાર પોલેમિસિસ્ટ કહેવાય.
વિવાદ માત્ર બે જ જગ્યાએ થતો હોય છે એક ધર્મમાં અને બીજો રાજકારણમાં. બાકી બધા વિવાદોનાં સમાધાન હોય છે પણ આ બે ક્ષેત્રમાં વિવાદને ચગાવવાનું ફરમાન હોય છે. કારણ કે વિવાદથી જ તો રાજકારણ અને ધર્મનાં બાશિંદાઓની રોજીરોટી ચાલે છે! રાજકારણીઓ અને ધર્મકારણીઓ એવું માને છે કે ‘તું ખોટો અને હું સાચો’ એવો ભાવ મનમાં હોય તો જ એ ક્ષેત્રમાં આગળ જવાય. બાકી આસનિયાં પાથરતા રહી જવાય. સાંપ્રત સ્થિતિ એ છે કે જે સર્વ ધર્મ સમભાવ કે સર્વ રાજકીય પક્ષ સમભાવમાં માને છે, એની કોઈ પ્રગતિ થતી નથી. માટે રસ્તાની કોઈ પણ એક સાઈડ પકડીને ચાલવું, રસ્તાની વચ્ચોવચ્ચ ચાલો તો કોઈ ખટારો કચડી નાંખે! હેં ને?
જ્યારે કોઈ કવિ ધર્મકારણ કે રાજકારણનાં રવાડે ચઢી જાય અને પ્રેમ, લાગણી, પત્ર, મદિરા, વરસાદ, ઝરણું, નદી, દરિયો, પહાડ, મેઘધનુષ, ચંદ્ર, તારા, સૂર્ય, પતંગિયા, દીવો, જંગલ જેવા એસ્ટાબ્લીશ્ડ વિષયોને બાજુમાં રાખીને રાજકારણ અને ધર્મકારણ વિષે વિવાદી લખે કે બોલે ત્યારે એ પોલેમિસિસ્ટ કહેવાય. ના, પોલેમિસિસ્ટ હોવું કોઈ લેખક કે કવિ માટે ખરાબ નથી. જોનાથન સ્વિફ્ટ, લીયો ટોલ્સ્ટોય, કાલ માર્ક્સ, જ્યોર્જ ઓરવેલ, જ્યોર્જ બર્નાડ શૉ, ટી. એસ. ઇલિઅટ વગરે પણ પોલેમિસિસ્ટ હતા. વિરોધ એ લોકશાહીનું અવિભાજ્ય અંગ છે. લોકશાહીમાં પોલેમિસિસ્ટનું હોવું જરૂરી છે. ઉંદરોની વસ્તીમાં કોઈ બહાદૂર ઉંદર બિલાડીનાં ગળે ઘંટ બાંધવાની ફિરાકમાં હોય, એ જરૂરી છે. બસ એટલી કાળજી લેવી કે એ ઘંટનો રણકાર તર્કબદ્ધ હોય. છંદબદ્ધ કરીને કોઈ એલફેલ કે બકવાસ લખે કે બોલે એ પોલેમિસિસ્ટ ન કહેવાય. હેં ને?
શબ્દ શેષ:
“જ્યારે રીઝન (વિવેકબુદ્ધિ) અને અનરીઝન (વિવેકહીનતા) એકમેકનાં સંપર્કમાં આવે ત્યારે તણખો ઝરે અને ઝાટકો લાગે. આને પોલેમિક્સ કહેવાય.” –જર્મન કવિ ફિલોસોફર ફ્રેડ્રિરિક શ્કેલગેલ
No photo description available.

Leave a comment

Filed under ઘટના, પરેશ વ્યાસ

Unlock down story 1 /પરેશ વ્યાસ

Unlock down story 1
During my customary morning walk, I spotted two boys with a tricycle on the service road of SP ring road. They collect the plastic bottles thrown out from the vehicles passing on the highway. They cycle. They recycle. They earn. They are Aatmnirbhar!
I thanked 3 agencies for their inefficiency or their indifference today.
1. The Government which is not serious in implementing the plastic waste management rules of 2016 /2018. Not serious also on implementing the child labour laws. So the boys can work.
2. The plastic bottlers who are supposed to implement EPR (Extended Producers Responsibility). EPR is reverse marketing. For example, coca-cola is supposed to collect the emptied plastic bottles back from the consumers. EPR is law of India. But…
3. The so called educated people who use and throw the plastic bottles on the roads. Swachh Bharat Mission is conveniently forgotten.
Because of gross negligence of the above three categories, these boys earn their daily wages..
Good, isn’t it?
Image may contain: one or more people, people sitting and outdoor

Leave a comment

Filed under ઘટના, પરેશ વ્યાસ

દશેરાએ+રાધા અને કૃષ્ણ: શું એમનો પ્રેમ પ્લેટોનિક છે?/પરેશ વ્યાસ

દશેરાએ માને પત્ર
શબ્દો:યામિની વ્યાસ
સ્વર:સોનલ વ્યાસ
પત્ર પાઠવી રહી છું આજ મા તને ખમ્મા ખમ્મા
હવે પૂરી થઈ નવરાત મા તને ખમ્મા ખમ્મા
જગતજનની,ત્રિભુનેશ્વરી,વિશ્વવિજયીની મા
હે દુર્ગેશ્વરી, આદયશક્તિ મા,ઓ જગદંબા મા
ધરતી પરથી પત્ર લખતી તારી દીકરીઓના શત શત નમન
જત જણાવવાનું કે મા અમારી ધરતી ડગમગ થાય
જત જણાવવાનું કે અહીં તારી દીકરીઓની આબરૂ લૂંટાય
ઘણી કળીઓની લખવી છે વાત મા તને ખમ્મા ખમ્મા
અહીં ઊગ્યા છે ઊંડા આસુરી અંધારાં
એને ઉલેચી માડી ફેલાવો અજવાળાં
લાવો સાચું દશેરાનું પ્રભાત મા તને ખમ્મા ખમ્મા
ટૂંકમાં કહું તો હરણ,હનન,હત્યા થાય છે બહુ
બસ રહેંસી નાખે નારીને, વધુ તો હું શું કહું!
રોકી દે રોજનો ઉલ્કાપાત મા તને ખમ્મા ખમ્મા
લાખો ત્રિશૂલો લઈ ગબ્બરથી આવીને વધ કર
ધરતીના મહિષાસુરને વધેરી ખપ્પરનો ભોગ ધર
રક્તબીજ સમા માનવ દાનવને સંહાર મા તને ખમ્મા ખમ્મા
તા. ક. માં લખું છું છેલ્લે વિન્નતી ત્રિશુળનું વરદાન દઈ દે તારી દરેક દીકરીને આત્મસુરક્ષા કાજ મા તને ખમ્મા ખમ્મા
યામિની વ્યાસ

રાધા અને કૃષ્ણ: શું એમનો પ્રેમ પ્લેટોનિક છે?

कैसा बंधन बंधा श्याम मोरे
बात तेरी समझ में न आई
हाथ फूलो से पहले बने थे
या कि गजरे से फूटी कलाई!
– परवीन शाकिर
આપણે જેને ‘લવ’ કહીએ એનાં તરજૂમા અનેક છે. ગુજરાતી લેક્સિકોન અનુસાર પ્રેમ એટલે પ્રીતિ, સ્નેહ, મહોબત, ચાહ, અનુરાગ, આસક્તિ, લગની. પદબંધ શ્રીમદ્ ભાગવતમાં લખ્યું છે કે: જગત માત્રનું જીવન તે પ્રેમ છે. ૐકારમાં પ્રેમ છે. નાદમાં પ્રેમ છે, છંદમાં પ્રેમ છે, પુરુષમાં પ્રેમ છે, પ્રકૃતિમાં પ્રેમ છે, જડમાં પ્રેમ છે અને ચેતનમાં પ્રેમ છે. કલરવ કરતાં પશુપક્ષીમાં, કુહૂ કુહૂ કરતી કોયલમાં, કુંજકુંજમાં, જાતજાતનાં વૃક્ષોનાં ઝુંડમાં, ખીલેલાં ફૂલોના મધ્ય ભાગમાંથી જેમ ઊડતી રજકણોની સુગંધી વ્યાપી રહી છે,તેમ જગતના સર્વ કાર્યસ્થળમાં પ્રેમ વ્યાપ્ત છે અને એ પ્રેમ તે ભક્તિ. શબ્દકોશમાં આ તો અઘરું અર્થઘટન થયું. નહીં?!! પ્રેમનાં તે વળી પ્રકાર હોય? પ્રેમ તો પ્રેમ હોય. એ કાંઇ આઈસક્રીમ થોડું છે કે એની અલગ અલગ ફ્લેવર હોય? પણ બૌદ્ધિકો એમાં ય પ્રકાર શોધે છે. ગ્રીક પુરાણ અનુસાર પ્રેમનાં પાંચ પ્રકાર છે. ૧. સ્ટોર્જ: કૌટુંબિક પ્રેમ ૨. ફિલિયા: મૈત્રી ૩. ઈરોસ: શૃંગારિક પ્રેમ ૪. જેનિયા: મહેમાનગતિ ૫. ડીવાઇન: દિવ્ય પ્રેમ.
જ્યારે રાધા કૃષ્ણનાં પ્રેમની વાત આવે ત્યારે કોઈ એને ફિલિયા (Philia) કહે છે. જે ‘ફોબિયા’નો વિરોધાર્થી શબ્દ છે. આજનો શબ્દ ‘પ્લેટોનિક’ (Platonic) ફિલિયા ઉર્ફે મૈત્રી ભાવને લગતો છે. પ્લેટોનિક લવમાં પુરુષ અને સ્ત્રી વચ્ચે અંતરંગ પ્રેમ જરૂર છે પણ એમાં શારીરિક ચેષ્ટા વર્જ્ય છે. એવું પણ કહે છે કે પ્લેટોનિક લવ એટલે ડોકની ઉપરનો પ્રેમ! પ્લેટોનિક લવ એ પુરુષ અને સ્ત્રી વચ્ચે એ સંબંધ છે, જેમાં એક બીજાની વિચારસરણી મળતી આવે છે. તેઓ એકબીજાની સારસંભાળ લેતા હોય, એવી લાગણીનાં સંબંધો હોય. તેઓ એકમેકને સારી પેઠે સમજી શકતા હોય છે. ઘણી વાર એક બોલે નહીં તો ય બીજો સઘળું સમજી જાય. એવો પ્રેમ પ્લેટોનિક કહેવાય. પ્લેટોનિક શબ્દ ગ્રીક દાર્શનિક પ્લેટોનાં વૈચારિક પ્રદાન પરથી આવ્યો છે. પંદરમી સદીનાં ફ્રેંચ વિદ્વાન માર્શિલો ફિસિનિયોએ પહેલી વાર ‘પ્લેટોનિક લવ’ શબ્દનો પ્રયોગ કરીને, એને દિવ્ય પ્રેમ તરીકે નવાજ્યો હતો. એવો પ્રેમ જે પ્લેટોની ફિલસૂફી પર આધારિત હતો. પ્લેટો માનતા કે પ્રેમ પોતે જ એક એટલી સુંદર લાગણી છે, જે શરીરનાં હાડમાંસનાં પ્રેમથી અનેક ગણી ઊંચી અને મહાન છે. પ્લેટોની વિચારધારા પરથી આવો પ્રેમ પ્લેટોનિક લવ કહેવાયો. અને છતાં રાધા અને કૃષ્ણનાં સંબંધ આમ સાવ શારીરિક નહોતા જ, એવું ય કહી ન શકાય. મોહક વાંસળી, કૃષ્ણાવતાર ભાગ- ૧, ક.મા. મુનશી સાહેબ લખે છે કે: ‘અદમ્ય ભાવાવેગથી કૃષ્ણે રાધા તરફ ઝૂકીને પોતાના હોઠ એના હોઠ સાથે ચાંપ્યા. એકનો આત્મા બીજાના આત્મામાં ભળી ગયો અને બંને એક થઈ ગયા ત્યાં સુધી એ હોઠો એકબીજાથી અલગ ન થયા. કૃષ્ણે રાધાના ગાલ પસવાર્યા. એના સ્તનમંડળ પર એનો હાથ ફરી રહ્યો. ત્યાંથી સુકુમારતાથી સરકતો સરકતો એ એના નમણા ને લાલિત્યસભર દેહના પ્રત્યેક સુંદર વળાંક શોધતો શોધતો ભાવાર્દ્રતાપૂર્વક એનાં અંગાંગ ઉપર પણ ફરી વાળ્યો. આનંદની એક મદભરી ઊર્મિ એમને અવર્ણનીય રસસમાધિમાં ડુબાવીને અભેદભાવનો અનુભવ કરાવી રહી.’ અહીં રાધા કૃષ્ણનાં પ્રેમનો પ્લેટોનિક અર્થ હોય એવું લાગતું નથી. અમને લાગે છે કે આ ડીવાઇન લવ છે. દિવ્ય પ્રેમ. રાધા અને કૃષ્ણ બંને એકાકાર છે. આત્મા અને શરીર એકમેકમાં સમાયેલા હોય છે, બસ એમ જ.
‘પ્લેટોનિક લવ’ શબ્દ આમ તો પામર મનુષ્યો માટે છેતરામણો છે. સેક્સ સંબંધ ન હોય તો પુરુષ અને સ્ત્રી વચ્ચેનો એ પ્રેમ અધૂરો ન ગણાય? પુરુષ અને સ્ત્રી વચ્ચે એવો ને એવો જ અશારીરિક સંબંધ હંમેશ માટે જળવાઈ રહે, એ વાત સામાન્ય વિજાતીય વ્યક્તિઓ માટે અઘરી છે. શારીરિક ચેષ્ટા ક્યારે મન પર હાવી થઈ જાય, એ કહેવાય નહીં. એકાંત મળે તો બંને, પરુષ જાત અને સ્ત્રી જાતને માટે, જાતનિયંત્રણ અઘરું થઈ જાય. સૂનો હાઇવે હોય તો સ્પીડલિમિટની બહાર ગાડી હાંકવી, એ પુરુષ માટે રમત અને સ્ત્રી માટે ગમત ભરેલી પ્રવૃત્તિ છે. અને પછી… ઓલ્યા અસ્પર્શનાં લીધેલાં વ્રત બટકી જાય, એમ પણ બને! પ્લેટોનિક સંબંધો માટે તો શું કહું……ગુલઝાર સાહેબની પંક્તિ અહીં અનુરૂપ લાગે છે. હમને દેખી હૈ ઉન આંખોકી મહકતી ખુશ્બૂ….ગુલઝાર સાહેબ લખે છે કે હાથથી અડીને એ આ પ્રકારનો સંબંધ છે, એવો આરોપ ન મૂકો.. આ તો એક લાગણી છે, જે આતમથી અનુભવવાની છે. પ્રેમને પ્રેમ જ રહેવા દો, એનું કોઈ નામ શા માટે? વાત તો સાચી છે. પ્રેમ એટલે પ્રેમ. પ્લેટોનિક પ્રેમ? એ વળી શું?
શબ્દશેષ:
‘પ્લેટોનિક લવ એ શાંત જ્વાળામુખી છે.’ –આન્દ્રે પ્રીવોસ્ટ
No photo description available.

Leave a comment

Filed under ઘટના, પરેશ વ્યાસ