ગળી જશે ભળી જશે
અણુમાં ઓગળી જશે.
તત્ જો ત્વમ્ થઈ જશે
તો અહમ્ નું શું થશે?
દુનિયા જે દોડતી હશે
ક્ષણવાર એ થંભી જશે
સ: રસ:સરસ હશે
છતાં એ કોણ ચાખશે?
અકાર ને નકારશે
અસ્તિને પડકારશે
પૂર્ણ શૂન્ય થઈ જશે
પછી તો એ શું બોલશે?
કલ્પિત કલ્પ થઈ જશે
સંકલ્પ કોઈ ના થશે
એક પણ ન રહી જશે
બહુનો અંત થઈ જશે.
તો અહમ્ નું શું થશે?
હરીશ દાસાણી
આ વિચાર અને વિકાર અંદર બેઠેલા એ અજાણ જણને સોંપી દેવાય તો નિરાંત.
શું થશે?
.——
“વિચાર” અને “વિકાર” એક જ માળા ના બે મણકા છે,
“વિચાર” ની દિશા બદલો, “વિકાર” ખુદ ભાગી જશે
——–
તો અહમ્ નું શું થશે? અહમ્ બ્રહ્માસ્મિ, એમાં અહમ્ તો વપરાય છે ને!પોતાના સ્વરૂપનો અહમ્ હોવો જોઈએ. પોતાનું સ્વરૂપ છે ત્યાં ‘હું છું’ બોલવું એ અહંકાર નથી.પોતે કોણ છે’ એવું જાણે અને પોતાના ક્ષેત્રમાં રહે ત્યારે નિરહંકાર કહેવાય.શુદ્ધ અહંકાર એટલે જેમાં ક્રોધ-માન-માયા-લોભ ના હોય. નરસિંહ મહેતાએ કેવું ગાયું છે, કે સૃષ્ટિ મંડાણ કેવું સરસ છે, કે ‘હું કરું, હું કરું’ એ અજ્ઞાનતા છે. તે આ મંડાણ એની મેળે ફર્યા જ કરે છે રાતદહાડો. એને જોગી જોગેશ્વરા કો’ક જાણે ! સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. કેટલાંય સંજોગો ભેગા થાય ત્યારે કાર્ય થાય છે.જપ, યોગ એ બધા તો અહંકારને વધારનારા છે.જેટલો ઇગોઇઝમ ઓગળે તેટલું સનાતન સુખ વર્ત્યા કરે.
અમને શ્રી સત્ય નારાયણ ગોયન્કાજીની વાત પર શ્રધ્ધા છે.
” વિપશ્યના આવો સાર્વજનીન ઉપાય છે. બીજાની સુખ શાંતિ ભંગ ના કરવી એ શીલ પાલનનો કોઈ વિરોધ નહી કરે. મનને વશમાં કરવાના અભ્યાસનો કોઈ વિરોધ નહી કરે. પોતાના વિષેની સચ્ચાઈને જણાવતી પ્રજ્ઞાનો, જેનાથી મનના વિકાર દૂર થતા હોય છે, કોઈ વિરોધ નહી કરે. વિપશ્યના સાર્વજનીન વિદ્યા છે.
અંદરની સચ્ચાઈ, સત્ય જેવું છે એવું, આપણે પોતે પ્રત્યક્ષ અનુભવથી જાણવાનું છે. ધીરજપૂર્વક પ્રયત્ન કરતા કરતા આપણે વિકારોથી મુક્તિ મેળવવાની છે. સ્થુળ ભાસમાન સત્યથી શરુઆત કરીને સાધક શરીર અને મનના પરમસત્ય સુધી પહોંચે છે. ત્યાર પછી આનાથી પણ આગળ, સમય અને સ્થાનની પર, સંસ્કૃત સાપેક્ષ જગતની પર – વિકારોથી પૂર્ણ મુક્તિનું સત્ય, બધા દુઃખોથી પૂર્ણ મુક્તિનું સત્ય, આ પરમસત્યને ભલે કોઈ પણ નામે ઓળખીએ – બધાના માટે આ અંતિમ લક્ષ્ય છે.
સર્વ આ પરમસત્યનો સાક્ષાત્કાર કરે. સર્વ પ્રાણી દુઃખોથી મુક્ત થાય. સર્વ પ્રાણી શાંત થાય, સુખી થાય.
સર્વનું મંગળ થાય.’